હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી મંદીના વાતાવરણ વચ્ચે રત્નકલાકારોની સ્થિતિ દયનીય બની છે. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા રત્ન કલાકારો દ્વારા નાછૂટકે જીવન ટુંકાવી લેવાના સતત વધી રહેલા કિસ્સાઓને પગલે સભ્ય સમાજમાં પણ આ ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના સાથે અલગ – અલગ માંગણીઓ કરવામાં આવી હતી.સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ રત્ન કલાકારોના હિતને ધ્યાને રાખીને અલગ – અલગ માંગણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવા પહોંચેલા કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપુતે જણાવ્યું હતું કે, મંદીને કારણે હાલમાં સૌથી વધુ કફોડી સ્થિતિ રત્ન કલાકારોની થવા પામી છે. જેને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા કાયમી ધોરણે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. જેને પગલે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના જીવન સ્તરને ઉંચું લાવવામાં આવી શકે છે. આ સિવાય રત કલાકારોના બાળકોને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહિત પરિવારજનોને રાહત દરે આરોગ્ય સેવા પુરી પાડવા અંગે પણ રજુઆત કરવામાં આવી હતી. વધુમાં, આવેદન પત્રમાં રત્ન કલાકારો સહિત હીરાના ધંધામાં સંકળાયેલા કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલી લોનમાં પણ રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે હીરાના એકમો અને ઓફિસોની લાઈટ બિલમાંપણ રાહત આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Author: Ashok kumar Jiyani
Co editor in chief