સુરત શહેરમાં હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે આર્થિક સંકડામણમાં મુકાયેલા રતકલાકારોના આપઘાતના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ઉત્રાણ વિસ્તારમાં ગઇકાલે હીરા દલાલની પત્નીએ ચાર વર્ષના પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પી લીધું હતું. જ્યારે સારવાર દરમિયાન ગત સાંજે માતાનું મોત થયું હતું. અને ગત મધ્યરાત્રિએ પુત્ર પણ મોતને ભેટ્યો હતો. જોકે માતાના અત્યંતિક પગલા પાછળના કારણ મામલે રહસ્ય સર્જાયું છે. આ બનાવવામાં પણ આર્થિક સંકડામણ અથવા ઘરકંકાસ કારણભૂત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ ઉત્રાણ વિસ્તારમાં ગ્રીન પ્લાઝાની બાજુમાં આવેલ રોયલ હીલ્સ એપાર્ટમેન્ટમાં રવિભાઈ ધામતની પત્ની પાયલ (ઉ.વ.૨૬) અને પુત્ર માહિર (ઉ.વ.૪) સાથે રહેતા હતા. રવિભાઈ હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે – બપોરે પત્ની પાયલ દેરાણીની તબિયત સારી ન હોવાથી સાસુમાને તેણીના ઘરે મૂકીને પરત ઘરે આવી હતી.બાદમાં અનાજમાં નાખવાના ઝેરી ટીકડાનો પાઉડર બનાવી પોતાના ચાર વર્ષના પુત્ર માહિરને પીવડાવી દીધો હતો. ત્યારબાદ પોતે પણ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્યારબાદ પાયલે પોતાના પતિને ફોન કરી પોતાને ઊલટી થતી હોવાનું જણાવી ઘરે બોલાવ્યા હતા. જેથી તાત્કાલિક રવિભાઈ ઘરે આવી પત્ની પાયલ અને પુત્ર માહિરને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે સાંજે સારવાર દરમિયાન પાયલનું મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ પુત્ર માહિરનું પણ ગત મધ્યરાત્રિએ મોત નિપજ્યું હતું. હીરા દલાલ રવિ અને પાયલના સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો. આપઘાતના એક કલાક પહેલા પાયલે પોતાની માતા અને ભાઈ સાથે મોબાઈલમાં વિડીયો કોલ પર વાત કરી હતી. માતા પુત્રના મોતના બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પણ આર્થિક સંકડામણ અથવા ઘર કંકાસ કારણભૂત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Author: Ashok kumar Jiyani
Co editor in chief