કંફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ ઉદ્યોગ સાહસિકતા અપનાવવા અનુરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
ગ્રેડિંગ, પેકિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને લિસ્ટીંગના વ્યવસાયથી સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકાય છે:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે રાધનપુર જી.આઇ.ડી.સી ખાતે ગ્રેડિંગ અને પેકિંગ ફર્મ શુભ એન્ટરપ્રાઇઝનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રીબીન કાપી શુભ એન્ટરપ્રાઇઝની નવીન શરૂઆતને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂત તરીકે આગળ વધવાની પહેલ એટલે ગ્રેડિંગ અને પેકિંગનું કામ. એનાથી પણ આગળ વધીને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ તેમજ લિસ્ટીંગ દ્વારા ખેડૂતો આવકના નવા દ્વાર ખોલી શકે છે. ખેડૂતો અને વેપારીઓને પોતાનો કંફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ દુનિયા સાથે કદમ મિલાવી પ્રગતિના નવા દ્વાર ખોલવા અનુરોધ કર્યો હતો. તેમણે ખેતી અને ઔદ્યોગીક ક્ષેત્રે આગામી સમયમાં આવી રહેલી નવીન ક્રાંતિકારી શોધ સંશોધન અને ટેકનોલોજીની માહિતી આપી પરંપરાગતને જાળવી રાખી આધુનિકતા અપનાવવા અપીલ કરી હતી.
વધુમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ફેમિલી ફાર્મર કન્સેપ્ટ, જીઓ ટેગ, અને દુબઈ એક્સ્પો દ્વારા ખેતીમાં આવી રહેલ બદલાવ અને વેપારી કુનેહથી અવગત થવા અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં બનાસ ડેરીની ટિસ્યુ લેબમાં તૈયાર થયેલ રોપા દ્વારા દાડમ અને ખારેકના પાકમાં મોટી ક્રાંતિ થવાની છે, જેનો લાભ આ વિસ્તારના ખેડૂતોને થવાનો છે. દેશી ઓલાદની ભેંસ અને કાંકરેજી ગાયમાં પણ બ્રિંડિંગ દ્વારા વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય એ દિશામાં કામ થઈ રહ્યું છે. ખેતી પશુપાલન અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રે આવી રહેલ ક્રાંતિકારી ફેરફારો આ વિસ્તારની કાયાપલટ કરી દેશે ત્યારે બાળકોને શિક્ષણ આપવા પર ભાર મૂકી વ્યસનોને તિલાંજલિ આપવા અધ્યક્ષએ અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર એપીએમસીના ચેરમેન કનુભાઈ ચૌધરી, વારાહી એપીએમસીના ચેરમેન ભેમાભાઇ ચૌધરી, શુભ એન્ટરપ્રાઇઝના નરસિંહભાઈ ચૌધરી, સગતા ભાઈ ચૌધરી, ગોવિંદપુરી બાપુ, રમેશભાઈ સિંધવ, દેવજીભાઈ , ગણેશભાઈ સહિતના અગ્રણીઓ, વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
