સુરતઃ સરથાણા પોલીસસ્ટેશન ની હદ માં આવેલ ગઢપુર રોડ પર રહેતા યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે હીરામાં મંદીને કારણે તેની નોકરી છૂટી જવાને કારણે માનસિક તણાવમાં આવી આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના વતની અને હાલમાં સરથાણા ગઢપુર રોડ પર આવેલ જય રણછોડ નગરમાં રહેતા 28 વર્ષીય હાર્દિકભાઇ ચતુરભાઈ ગાજીપરા, જેઓ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. હાર્દિકની હીરામાં મંદીને કારણે નોકરી છૂટી ગઈ હતી. જેથી તે માનસિક ટેન્શનમાં આવી બીમાર થઈ ગયો હતો, અને તેની બીમારીની દવા પણ ચાલતી હતી. હાર્દિકભાઇ માનસિક તણાવમાં ઘરમાં પરિવારની સામે મને ઝેરી દવા અથવા પૈસા આપો એવુ રટણ કરતો હતો. ગઇકાલે સાંજે હાર્દિકભાઇએ ઘરે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેને ઊલટી થઈ હતી. જેથી પરિવારજનોને ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં હાર્દિકભભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હાર્દિકભાઇનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં હાર્દિકભાઈએ હાલ હીરામાં મંદીમાં તેની નોકરી છૂટી જવાને કારણે માનસિક તણાવમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે સરકાર અને ડાયમંડ એસોસિયેશન અને ડાયમંડ યુનિયન આના માટે ક્યારે અને કેવી રીતે નિરાકરણ લાવે છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief