હાલ ઊંઝામાં સરદાર ચોક પાસે ગોગા મહારાજના નામથી કપડાં વેચવાની લારી ચલાવી ગુજરાન ચલાવતો નવયુવાન પોતાના સામાન્ય આવકવાળા કામ – ધંધાની સાથે અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ અને મંડળો સાથે પણ સંકળાયેલો છે.
નામ – આત્મારામ જીવરામભાઇ જોષી બનાસકાંઠા જિલ્લાના, વાવ તાલુકાના ગામતીથગામના મૂળ રહેવાસી પણ અહીં કામ ધંધા અર્થે પરિવાર સાથે શ્રી જહુ માતાજીના મંદિર પાસે, ભાટવાડામાં રહેતા 28 વર્ષની નાની ઉંમરે જ પોતાની આવકમાંથી રોજ નાની નાની સેવાઓ નિસ્વાર્થ ભાવે કરે જાય છે.
તેમના મૂળ વતનના શ્રી ભાખરીવાળા હનુમાનજી અને શ્રી જહુ માતા પર અપાર શ્રદ્ધા રાખી લારી પર કોઈ ખુબ ગરીબ વ્યક્તિ કે મંદ બુદ્ધિ, નિરાધાર આવે તો તેને ચા – નાસ્તો કરાવી તેમને અનુકૂળ કપડાં આપે છે. આધુનિક મોડર્ન કહેવાતા આ ઘોર કળિયુગમાં કરોડપતિઓને પણ દાન કે સેવા કરવાની દાનત હોતી નથી ત્યાં લોકનિંદાની પરવા કર્યા વગર આ નવયુવાન દર વર્ષે સેવાભાવી મિત્રો સાથે ઉનાળાની સખ્ત ગરમીમાં પક્ષીઓ ને પાણી પીવા માટીના કુંડાનું ઊંઝામાં અને છેક બનાસકાંઠામાં પણ મફતમાં વિતરણ કરે છે.
નાની ઉંમરે 10 વાર રક્તદાન કરી ચુક્યો છે અને અનેક નવયુવાનોને તે માટે પ્રેરણા આપે છે. મહિલાની પ્રસુતિના એક ઇમર્જન્સી કેસમાં રક્તદાન કરી નવજીવન આપ્યુ હતું.
2 વર્ષ પહેલાના ગાયો માટે સખ્ત હેરાનગતિ વાળો લમ્પી વાયરસનો જીવલેણ રોગ ચાળો ફેલાયો ત્યારે પણ ગાયો માટે લાડવા ફ્રી માં જ બનાવી આપી વિતરણ કર્યું હતું.
દર શનિવારે તેની મમ્મી ઘુળીબેનને સાથે રાખી શ્રી હનુમાનજીના મંદિરે આવતા સાધુ સંતોને નાસ્તો આપવાની સેવા કરે છે.
નિયમિત ભાટવાડામાં શ્રી જહુ માતાજી મંદિરે અને તેમના જીવદયાના કાર્યને પણ સમય અને શક્તિ મુજબ યોગદાન આપતો રહે છે.
આવા નવયુવાન અનેક બીજા સામાન્ય પરિવારો માટે એક આદર્શ સેવાનું ઉદાહરણ બની જાય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
