રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો
અમરેલી તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ (રવિવાર) ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલીના જેસીંગપરાના શિવાજી ચોક ખાતેની, રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન પ્રેરિત ધર્મજીવન હોસ્પિટલનું તકતી અનાવરણ કરી, રિબિન કાપીને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે ઉદ્ઘાટન-લોકાર્પણ કર્યું હતું.
ધર્મજીવન હોસ્પિટલ ખાતેના ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સ મુલાકાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લીધી હતી. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે ટૂંકો વાર્તાલાપ પણ રાજ્યપાલ શ્રીએ કર્યો હતો. મુલાકાત વેળાએ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના સંતશ્રીઓ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, રાજકોટ સાંસદ શ્રી પરષોત્તમભાઈ રુપાલા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા, નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ વેકરિયા, લાઠી-બાબરા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવિયા સહિત મહાનુભાવો, અગ્રણીશ્રીઓ સહિતના જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરુરી જીવામૃત-ઘન જીવામૃત, બીજામૃત, પાક સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરુરિયાત છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી જમીન ફળદ્રુપ બને છે, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિથી પકવવામાં આવતાં વિવિધ ધાન્ય, કઠોળ આરોગ્ય સુખાકારીમાં વધારો કરે છે.
રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
