વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની
બાબતો અંગે દિશાનિર્દેશ આપવામાં આવ્યા
અમરેલી તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ (બુધવાર) રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અન્વયે અમરેલી GSRTC બસ પોર્ટ ખાતે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં માર્ગ સલામતી, રસ્તાની જેમ બને તેમ ડાબી બાજુ સફેદ પટ્ટાની અંદર વાહન પાર્ક કરવું, પાર્કિંગ લાઈટનો ઉપયોગ કરવો, ગાડી બંધ પડ્યેથી ૫૦ મીટર પહેલા અને પછી હેઝાર્ડસ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલનો ઉપયોગ કરવો, ગાડીની પાછળ લાલ અને પીળા રંગના ઝીબ્રા પટ્ટા રેડિયમ, રિફ્લેક્ટર લગાવવા, સાઈડ ઈન્ડિકેટરના ઉપયોગ બાદ લેન બદલવી સહિત વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
“સલામત સવારી એસ.ટી.અમારી” નું સૂત્ર ખરાં અર્થમાં સાર્થક થાય, અકસ્માતથી થતાં મૃત્યુદરને વર્ષ-૨૦૩૦ સુધીમાં ૫૦% કરવાના લક્ષ્યાંકને સિધ્ધ કરીએ. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીએ, માર્ગ સલામતી માટે લેવાની થતી કાળજી અંગેના શપથ લીધા હતા.
વાહન ચાલકો માટે ડાયાબિટીસ, બી.પી, આંખ, કાન સહિતના ચેક અપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગ લાગે ત્યારે તે આગ બુઝાવવા માટે શું કરી શકાય તે અંગે અમરેલી ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવી હતી.
બેઠકમાં, GSRTC ડિવિઝનલ કંટ્રોલર શ્રી સોલંકી, અમરેલી સીટી પી.આઈ. શ્રી વાઘેલા, અમરેલી આર.ટી.ઓ ઈન્સ્પેક્ટરશ્રી શાહ, જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. શ્રી ગોહીલ, મેડિકલ ઓફિસર શ્રી અન્સારી, ફાયર વિભાગ સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા અને માર્ગ સલામતી માટે ક્યા પગલાઓ ભરી શકાય તે માટે સંકલન કર્યુ હતુ, તેમ અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
