બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતા નારી સંરક્ષણ કેન્દ્રએ વિતેલા દોઢ વરસ પહેલા ઘરથી ભુલા પડેલા પંચમહાલ (જિલ્લાનું નામ બદલેલ છે)ની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા દોઢ વર્ષ અગાઉ ૫૦ વર્ષની મહિલાને આશ્રય હેઠળ નારી સંરક્ષણ કેન્દ્રમાં મૂકવામાં આવેલ હતા. આશ્રિત મહિલા બહેરા અને મૂંગા હતા જેથી તેમના પરિવાર વિષે જાણકારી મળતી નહોતી.
આ માટે નારી કેન્દ્ર પાલનપુર દ્વારા આ બહેન માટે બહેરા, મૂંગા સ્કૂલમાંથી શિક્ષક બોલાવીને પ્રયત્નો હાથ ધરાયા હતા પણ ખાસ કઈ માહિતી મળી શકતી નહોતી. મહિલાના પરિવાર દ્વારા દોઢ વર્ષ પછી નારી કેન્દ્ર ખાતે સંપર્ક કરીને આધાર પુરાવા રજૂ કર્યા હતા. નારી કેન્દ્ર દ્વારા બહેનના પરિવાર,સ્થળ વગેરે બાબતોને ક્રોસ ચેક કરવામાં આવી હતી તે પછી આશ્રિત બહેનના દિકરીનું સરનામું લઈને તેને કોન્ટેક્ટ કરતાં તેને પણ બધી વાત કહી અને મારા મમ્મી છે એવું સ્વીકાર્યું ત્યારબાદ તેમણે મળવા બોલાવ્યા તેમની દિકરી અને સાસુને જોઈને આશ્રિત બહેન ખુબજ રડવા લાગ્યા અને ભાવુક બન્યા હતા. પોતાના પરિવારના લોકોને જોઈને આશ્રિત બહેન ખુશ થઈને નાચવા લાગ્યા હતા. પરિવાર તેમને સાથે લઈ જવા માંગતો હોઈ જિલ્લા કલેકટરશ્રીની મંજૂરી લઈને તેમણે તેમના પરિવાર સાથે સોંપી અને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
