માનવ સેવા સાથે ઉત્તમ ઉદાહરણ રાજ્ય સરકારની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૧૦૮
અકસ્માતમાં ઘાયલ દર્દીની રોકડ રકમ અને કિંમતી સામાન સ્વજનોને સોંપતા ૧૦૮ના કર્મયોગીશ્રી
અમરેલી જિલ્લામાં ખાંભા-૧૦૮ ટીમે રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામના બાઇક ચાલકની રુ.૧.૫૩ લાખની રોકડ રકમ પરત કરી
અમરેલી તા.૧૨ માર્ચ, ૨૦૨૪ (બુધવાર)રાજ્ય સરકારની ઇમરજન્સી સારવાર સેવા ૧૦૮ દર્દીઓને આપત્તિમાં બચાવવાની અને સારવાર આપવાની સાથે સાથે પ્રામાણિકતાપૂર્વક કામ કરી ખરાં અર્થમાં જનસેવાનું કામ કરી રહી છે. આવું જ માનવ સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ અમરેલીના ખાંભા-૧૦૮ની ટીમે પૂરું પાડ્યું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી અને થોરડી વચ્ચે રસ્તાની ગોળાઈમાં મોટરસાઇકલ સ્લીપ થતાં અકસ્માતમાં રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામના રહેવાસી એવા પ૦ વર્ષીય શ્રી છગનભાઇ ભાણાભાઈ ચૌહાણ ઘાયલ થતાં તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. આવા સમયે તેમને ખાંભા ૧૦૮ની ટીમે તેમને પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપી અને અકસ્માતમાં ઘાયલ થયેલા આ દર્દી પાસે રહેલી રોકડ રકમ અને કિંમતી સામાન ૧૦૮ની ટીમે સાચવ્યા અને તેમના પરિવારને પરત કરી માનવતા અને પ્રામાણિકતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
૧૦૮ની ટીમ દ્વારા સારવારની સાથે-સાથે ફરજનિષ્ઠ કર્મીશ્રીઓ દ્વારા તેમની સાથેના કિંમતી વસ્તુઓ સોંપવાના એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગત આપતા ૧૦૮ ટી અમરેલી જિલ્લાના અધિકારીશ્રી અમાનતઅલી નકવીએ કહ્યુ કે, આંબરડી અને થોરડી વચ્ચે રસ્તાની ગોળાઈમાં મોટરસાઇકલ સ્લીપ થઇ ગઇ હતી, આ અકસ્માતમાં ઘવાઇ ગયેલા બાઈક ચાલકને સારવાર મળી રહે તે માટે ૧૦૮ સેવાને જાણ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યુ કે, ૧૦૮માં જાણ થતાં જ ખાંભા ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી શ્રી જીતેશ કલસરિયા અને પાઇલોટ શ્રી ભરત મકવાણા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલ દર્દીને સારવાર પૂરી પાડી હતી.
આ તકે તેઓને ૧૦૮ એમ્બુલન્સ મારફત સારવાર આપી અને અકસ્માતમાં ઘવાઇ ગયેલા બાઈક ચાલકને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
તેમણે વધુમાં કહ્યુ કે, ઈ.એમ.ટી. શ્રી જીતેશ કલસરિયા અને પાયલોટ શ્રી ભરત મકવાણાએ દર્દી શ્રી છગનભાઇ ભાણાભાઈ ચૌહાણના પરિવારજનોને જાણ કરી રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા.
પરિવારજનો હોસ્પિટલે પહોંચતા ૧૦૮ ટીમ દ્વારા તેમને દર્દીના રુ.૧,૫૩,૦૦૦ રોકડ રકમ, બેંક એ.ટી.એમ. કાર્ડ, આધાર કાર્ડ, બાઈકની આર.સી. બુક અને કિ-પેડવાળા ૦૨ (બે) મોબાઇલ હોસ્પિટલ ખાતે તેમના સ્વજનને સુપરત કર્યા હતા.
આ તકે ઘાયલના પરિવારજનોએ ૧૦૮ની ટીમની સરાહનીય કામગીરીથી પ્રભાવિત થઈ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ અને પ્રામાણિક રીતે કામગીરી દાખવવા બદલ ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર શ્રી દિલીપ સોલંકી અને અમરેલી જિલ્લાના ૧૦૮ અધિકારી શ્રી અમાનતઅલી નકવી દ્વારા ટીમને બિરદાવવામાં આવી હતી.
રાજ્ય સરકારની ઇમરજન્સી સેવા ૧૦૮ સંખ્યાબંધ લોકોને ત્વરિત તબીબી સેવા પૂરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્કસાઈનો પયાર્ય બની છે.
જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની સાથે કોઈ સગા સંબંધી હાજર નહિ હોય તે પરિસ્થિતિમાં તેમની પાસે રહેલ કિંમતી મુદ્દામાલ સાચવીને રાખી લેવામાં આવે છે, જે દર્દીના પરિવારજનોને રુબરુ બોલાવી ૧૦૮ પરિવાર દ્વારા પરત કરવામાં આવી છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
