May 13, 2025 12:38 pm

અમરેલી : કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટે માર્કેટિંગ કાર્યશાળા યોજાઈ

અમરેલી તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ (સોમવાર) ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે તાજેતરમાં કાર્યશાળા યોજાઇ હતી. 

અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત મિત્રો માટે ખાસ માર્કેટિંગ તાલીમ શૃંખલાના પ્રથમ તબ્બકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા દત્તક લેવામાં આવેલા હડાળા, રફાળા, ડેરી પીપરિયા, સુડાવડ, મોટા મુંજિયાસર અને નવા પીપરિયા સહિતના ગામોમાંથી અંદાજે સો જેટલા ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રાકૃતિક કિટનું વિતરણ કરવાનો મુખ્ય હેતુ ખેડૂતો દ્વાર તૈયાર કરવામાં આવેલી વસ્તુઓને માર્કેટિંગ માટે મોટું સ્ટેજ પૂરું પાડવાના હેતુથી તેમજ અન્ય ઉપસ્થિત ખેડૂતોને પ્રેરણા મળી રહે તે હેતુથી દેશી ગાયના ગોબરધનમાંથી ગીર ગાયની પ્રતિકૃતિ તથા ગણપતિની મૂર્તિ તેમજ પ્રાકૃતિક કીટથી મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું

ડૉ. વિરાભાઈ ચાવડાએ આમંત્રિત મહેમાનો તેમજ સૌ ખેડૂત મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ આચાર્ય શ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે કાર્યશાળાનો ઉદ્દેશ્ય અને કોલેજ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.

અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યુ કે, ભારતીય ગાયોની નસલ સુધારવાની અતિ જરુરિયાત છે, આ કામ અમર ડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેનો લાભ ભવિષ્યમાં સમગ્ર પ્રદેશને મળશે. આજના સમયમાં માનવ સ્વાસ્થ્ય બચાવવું હોય તો માત્ર પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે.

અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી દિલીપસિંહ ગોહિલે કહ્યુ કે, આપણે શક્ય હોય તેટલું પ્રકૃતિની વચ્ચે રહી તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ વાપરવી અનિવાર્ય છે. તેમણે કેમ્પસની મુલાકાત કરી આનંદ વ્યક્ત કર્યો હતો અને અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ટીમની કામગીરીને બિરદાવી હતી.

કુલપતિ શ્રી ડૉ.સી. કે. ટીંબડીયાએ કહ્યુ કે, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં જન-જન સુધી પ્રાકૃતિક ખેતીની વાત પહોંચાડી છે. ટૂંકા ગાળામાં પણ અમરેલી કોલેજ દ્વારા થયેલ કામગીરી ઉત્કૃષ્ટ છે. સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. અળસિયાની વિશેષતાઓ તેમજ મિશ્ર પાક પધ્ધતિ વિશે ઊંડાણ પૂર્વકનું માર્ગદર્શન પણ તેમણે આપ્યુ હતુ.

વકતા શ્રી મેઘજીભાઈ હિરાણીએ ગાયનું મહત્વ તેમજ તેઓ દ્વારા ગાયના ગોબરધનમાંથી બનાવમાં આવતી વિવિધ ૧૫૦ કરતા વધુ પ્રોડક્ટ અને તેના માર્કેટિંગ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતુ.

વકતા શ્રી વનરાજસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં બળદનું મહત્વ અને તેમના સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતીના ૧૨ વર્ષના અનુભવો રજૂ કર્યા. પ્રાકૃતિક કૃષિલક્ષી ઉત્પાદન ગ્રાહકને વહેચવું અને તે માટે સીધો જ તેમનો સંપર્ક કરવો, માર્કેટિંગની જુદી-જુદી પધ્ધતિઓ જણાવી હતી.

વકતા શ્રી નારસંગભાઈ મોરી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પંચસ્તરીય જંગલ મોડેલનું નિર્માણ કેવી રીતે કરવું અને તેમાંથી વધુ આવક થાય તે માટે માર્કેટિંગ કેવી રીતે કરવું તેના માટેના તેમના અનુભવો જણાવ્યા હતા.

વકતાશ્રી મોહનભાઈ પંડિતએ પોતાની જમીનમાં વિકટ પરિસ્થિતિ ૨૫૦૦ કરતા વધુ TDS પાણીમાં પણ સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી જાતે માર્કેટિંગ કરી શકાય તેના અનુભવો રજૂ કર્યા. ગૌશાળાને આત્મનિર્ભર બનાવવામાં પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી ઘનજીવામૃતનું નિર્માણ કેટલું મહત્વનું છે તેની વાત ઉદાહરણ સાથે કરી હતી અને તેનું ખૂબ મોટું માર્કેટ છે તેવું જણાવ્યુ.

સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક વ્યવસ્થાપન અને સંચાલન કોલેજ ના શ્રી બી. યુ. પરમાર, શ્રી બી.ડી.મકવાણા, ડૉ.બી. આર. ગોંડલિયા અને શ્રી પ્રિયંકાબેનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें