જીવનશૈલી અને ખોરાક પ્રણાલીમાં બદલાવ લાવીએ
‘પહેલું સુખ તે જાતે નર્યા’ સ્વસ્થતા નો આ વિચાર પ્રત્યેક નાગરિક સુધી પહોચાડવાનો અભિગમ
પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.
મેદસ્વિતા મુક્ત પાટણ અભિયાનની ઉજવણી માટે જિલ્લા નોડલ અધિકારીશ્રી તરીકે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પાટણની નિમણુક કરવામાં આવેલ છે. મેદસ્વિતા મુક્ત પાટણના સંકલ્પ સાથે નાગરિકોમાં મેદસ્વિતા અંગે જાગૃતિ આવે એ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર શ્રી તુષાર કુમાર ભટ્ટના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ જિલ્લા વહીવટીતંત્રના અગિયાર વિભાગોને કરવાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કેલેન્ડરરૂપે મોકલી આપ્યું છે.
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી (ઇ.ચા.) શ્રી દિવ્યેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના પહેલું સુખ તે જાતે નર્યા, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં પાટણ જિલ્લો પણ મેદસ્વિતા મુક્ત બનવાના સંકલ્પ સાથે સહભાગી બન્યો છે. જિલ્લા વાસીઓને અપીલ કરતાં તેમણે મેદસ્વિતાથી બચવાના ઉપાય તરીકે જીવનશૈલીમાં બદલાવ, ખોરાકની ગુણવતા જાળવવા, ચરબી યુક્ત અને તળેલા પદાર્થોનું સેવન ટાળવા અને પરિશ્રમ કરવા પર ભાર મુકયો હતો.
મેદસ્વિતા એટલે કે જાડાપણું, મોટાપો આપણી રોજબરોજની દિનચર્યામાં આપણને અસર કરે છે, આપણા સ્ફૂર્તિમય જીવનમાં અવરોધ ઊભો કરે છે અને બીપી, ડાયાબિટીસ, હ્રદય રોગ, લકવો, પેટની સમસ્યાઓ જેવી અનેક બીમારીઓને નોતરું આપે છે. આમાંથી છુટકારો મેળવવા સામાજિક જાગૃતિ કેળવીએ , આપણે સૌ જાગૃત બનીએ, અને આપણા આડોશ- પડોસ , સગાસંબંધીઓ સર્વેને મેદસ્વિતા અંગે જાગૃત કરી મેદસ્વિતા મુક્ત પાટણનો સંકલ્પ સાર્થક કરવા અનુરોધ કર્યો છે .
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
