સૌ કોઈ સાથે મળીને વાવ-થરાદ વિસ્તારના વિકાસ માટે સહિયારા પ્રયત્નો હાથ ધરીએ:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
વાવ-થરાદ જિલ્લા નવ નિર્માણના ઐતિહાસિક નિર્ણય બદલ આંજણા ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું કરાયું આયોજન
વાવ-થરાદ જિલ્લા નવ નિર્માણના ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીનો ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી. થરાદ સ્થિત વિવિધ સંગઠનો, હોદ્દેદારો અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષશ્રી શંકરભાઈનું સન્માન કર્યું હતું.
સત્કાર સન્માન સમારોહમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સમાજનો પ્રેમ અને લાગણી અનેરી હોય છે. થરાદની પ્રજાએ આપેલા પ્રેમભરી લાગણીઓના રંગે આજે રંગાયો છું. આ વિસ્તારની માતાઓ અને વડીલોના આશીર્વાદથી આજે સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે જણાવ્યું કે, બધા સાથે મળીને વાવ – થરાદ વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરીએ. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે તમામ પ્રયાસો કરીએ તથા વાવ થરાદના વિકાસ માટે કામ કરવાનું જણાવ્યું હતું. અધ્યક્ષશ્રી સન્માન બદલ ચૌધરી સમાજનો આભાર માન્યો હતો.
અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારના વિકાસ માટે પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલે આપેલું યોગદાન અમૂલ્ય છે. પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકીને તથા મને ચૂંટીને વિધાનસભામાં મૂક્યો છે તો હવે મારી જવાબદારી બને કે આ વિસ્તાર માટે તમામ ભૌતિક સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યો કરી શકું. આપ સૌ દ્વારા અપાતો પ્રેમ અને હુંફ જ મને થરાદના વિકાસ માટેની નવી પ્રેરણા પૂરી પાડે છે. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલ સહિત તળાવોને પાણી થી ભરવા માટેની સુવિધાઓ ઉભી કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે થરાદના વિકાસ માટે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે.
અહીં નોંધનીય છે કે, અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વાવ-થરાદ વિસ્તારના વિકાસ માટે અલગ જિલ્લા તરીકેની માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી હતી. ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ વાવ-થરાદ જિલ્લાનું નવ નિર્માણ કરીને સ્થાનિક લોકોને મોટી ભેટ આપી હતી જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે. અધ્યક્ષશ્રીના ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવા અને તેમને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો હતો.
આ સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, વિવિધ અગ્રણીઓ અને ૧૦ હજારથી પણ વધારે આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
