રૂ.૮.૨૦ કરોડના ખર્ચે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત/લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા ૮.૨૦ કરોડના ખર્ચે એકસાથે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે. આજે થરાદમાં ૨૧ તથા ૪ લાખણી વિસ્તારના એમ કુલ મળીને ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુર્હુત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં ૧૪ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે.
તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના સાબા, ગણેશપુરા, ડુવા ૧, પાવડાસણ, દુધવા, ઉટવેલીયા, સેદલા, ખેંગારપુરા, આંતરોલ, આજાવાડા, સવરાખા, થેરવાડા, કોચલા, સિધોતરા, ડુવા-૨, કીયાલ, જેટા, મોરીલા, લુણાવા, ડોડીયા, દેતાલ ડુવા, ગણતા,
માંગરોલ, ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુર્હુત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ, અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, થરાદ પ્રાંત અધિકારીશ્રી તુષાર જાની, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર રાવળ અસ્મિતા બી.(.બી.કે.)
