વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ વિઝનને સાર્થક કરવાના ભાગરૂપે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવાની દિશામાં પહેલ
ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ, મસાલા, ડેરી, સોલાર એનર્જી, પ્રવાસન અને મધમાખી ઉછેર જેવા ઉદ્યોગમાં વિકાસની ઘણી સંભાવના:- કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ
ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા વિકસિત ગુજરાત@૨૦૪૭ અંતર્ગત નોર્થ ગુજરાત “ઇકોનોમિક માસ્ટર પ્લાન” તૈયાર કરવાના હેતુસર કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી પાટણ ખાતે આજરોજ કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ ની અધ્યક્ષતામાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પાટણ ,બનાસકાંઠા અને મેહસાણાના ઔદ્યોગિક વિકાસ માટે ડેટા એકત્રિત કરી, ડેટા એનાલીસિસ દ્વારા વિકાસનો રોડ મેપ તૈયાર કરવા બાબતે ચર્ચા વિચારણા કરી ઇકોનોમિક ડેવલોપમેન્ટની સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ વિઝન અંતર્ગત વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત સરકારે વિકસિત ગુજરાત@૨૦૪૭ માટે વિઝન ડોક્યુમેન્ટ અને વર્ષ ૨૦૩૦ નું વિકાસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. જેના ભાગરૂપે નીતિ આયોગના ધોરણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ની રચના કરવામાં આવી છે. જેના થકી સમગ્ર ગુજરાતમાં “ઇકોનોમિક માસ્ટર પ્લાન” તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા અને મહેસાણાનો ” ઇકોનોમિક માસ્ટર પ્લાન” તૈયાર કરવાના હેતુસર આજે વર્ક શોપ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું કે પાટણ ખેતી આધારિત જિલ્લો છે આથી ખેતી આધારિત ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ, મસાલા ઉદ્યોગ, પશુપાલન, ડેરી, સોલાર એનર્જી, પ્રવાસન અને મધમાખી ઉછેર જેવા ઉદ્યોગમાં વિકાસની ઘણી સંભાવના રહેલી છે. પાટણમાં પટોળા જેવી હસ્તકલા આધારિત ઉદ્યોગ અને રાણીની વાવ, શંખેશ્વર જિનાલય, રુદ્રમહાલય જેવા પર્યટન સ્થળોને લીધે જિલ્લામાં પર્યટન સર્કિટ દ્વારા પણ વિકાસની ઘણી તકો રહેલી છે. આ સમગ્ર બાબતોની ચર્ચા કરી તેના અમલ માટે જિલ્લા ઉદ્યોગ ભવન અને જિલ્લા આયોજન વિભાગના સંકલનમાં માસ્ટર પ્લાન તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્કશોપમાં ઉપસ્થિત GRIT ની કન્સલ્ટન્સી એજન્સી PWC ના રીજનલ મેનેજર શ્રી શ્રીકાંત શર્માએ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો, વિવિધ એસોસિયેશનના હોદેદારો અને પ્રતિનિધિશ્રીઓ સાથે ચર્ચા કરી જે તે ક્ષેત્રની ઔદ્યોગિક જરૂરિયાત, તેમના પ્રશ્નો, તેમની રજૂઆત અને સલાહ સૂચન મેળવ્યા હતા.
વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ, જિલ્લા ઉદ્યોગ ભવન, જિલ્લા આયોજન વિભાગ, મજૂર વિભાગ સહિતના વિભાગના અધિકારીશ્રીઓ, ટોરેન્ટ ફાર્મા, રત્ન મણિ, દૂધ સાગર ડેરી, અમાન એપોલો, મકેન જેવી કંપનીઓના પ્રતિનિધિ શ્રીઓ, પટોળા ઉદ્યોગના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
