યોગ શિબિરમાં જોડાઈ ગૃહિણીએ મેદસ્વિતા ને મ્હાત કરી
મીનાક્ષીબેન દુદખીયા
યોગ ક્લાસમાં જોડાયા બાદ મારુ વજન આઠથી નવ કિલો ઓછું થયું : મીનાક્ષીબેન દુદખીયા
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન ગુજરાત સરકાર દ્વારા નાગરિકોમાં મેદસ્વિતા (સ્થૂળતા) પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મહિલાઓને જોડવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે, જેમાં યોગ, પ્રાણાયામ, સંતુલિત આહાર અને નિયમિત કસરત દ્વારા તેમના સ્વાસ્થ્યને સુધારવા પર ભાર મૂકવામાં આવે છે.
પાટણમાં પણ મહિલાઓને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી તેઓ સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવી શકે આ અંગે ગૃહિણી અને યોગ ટ્રેનર મીનાક્ષીબેન દુદખિયાએ જણાવ્યું હતું કે, હું દોઢ વર્ષથી યોગ ક્લાસમાં જોડાઈ છું અને યોગ કરવાથી મારૂ વજન આઠથી નવ કિલો ઓછું થયું છે. તેમજ મને ઢીંચણમાં પણ બહુ જ દુખાવો થતો હતો. જેથી હું સીડી પરથી ઉતરી પણ નહોતી શકતી અને વજ્રાસનમાં પણ બેસી શકતી ન હતી, ત્યારે યોગ કર્યા બાદ હવે હું વજ્રાસનમાં પણ બેસી શકું છું અને નાનો છોકરો જેમ દોડતો હોય તેમ સીડી પર ચડી જવ છું અને ઉતરી પણ શકુ છું. યોગ ક્લાસમાં જોડાયા બાદ મને ખૂબ આનંદ થાય છે કારણ કે ત્યારબાદ હું પોતે પણ એક યોગ ટ્રેનર બની છું અને હાલ 10 થી 15 લોકોને હું પણ યોગનું જ્ઞાન આપું છું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
