રાજ્ય સરકારે માહિતી અધિકાર અધિનિયમ (RTI) ને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલાં ઊઠાવ્યા છે. જાહેર વહીવટમાં પારદર્શિતા લાવવા અને જનતાને સરળતાથી માહિતી પ્રાપ્ત થાય તે માટે રાજ્યના તમામ સરકારી વિભાગોને નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
હવે દરેક સરકારી વિભાગ RTI હેઠળ મળતી અરજીઓ માટે પ્રથમ 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે. આ માહિતી દસ્તાવેજોમાંથી ફોટો ખેંચી ઈ-મેઈલ કે ઓનલાઈન ફોર્મેટમાં અરજદારોને મોકલવામાં આવશે.
સરકારે વધુમાં જણાવ્યું કે, જ્યારે અરજદારને સરકારી રેકોર્ડનું નિરીક્ષણ કરવા બોલાવવામાં આવે, ત્યારે તેઓને માહિતીના ફોટા ખેંચવાની કે પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઈસ — જેમ કે પેનડ્રાઈવ અથવા USB — ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે.
પરંતુ આ માહિતીનું ભૌતિક સ્વરૂપે નકલ આપવામાં નહીં આવે.
રાજ્યના તમામ વિભાગોને તેમનો રેકોર્ડ યોગ્ય રીતે વર્ગીકૃત કરી અનુક્રમણિકા સાથે પોતાની વેબસાઈટ પર મૂકવાની કડક સૂચના અપાઈ છે.
ઉપરાંત, પ્રથમ અપીલ અધિકારીઓને ‘સ્પીકિંગ ઓર્ડર’ જારી કરવા તથા તેની પાલના જાહેર માહિતી અધિકારી દ્વારા થાય તેની ખાતરી કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
RTI હેઠળ સ્વયંપ્રસિદ્ધ થતી માહિતી — એટલે કે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર — સમયસર અપડેટ કરવાની તથા તે માહિતી જનતાને વિના મૂલ્યે કે નિયત ફી પર આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાનું પણ હવે ફરજિયાત કરાયું છે.
નિયમનુસાર હવે ગેરકાયદે બાંધકામ, દબાણોની કાર્યવાહી, લાઈસન્સ, પરમિટ અને મંજૂરીઓની વિગતો પણ દરેક વિભાગે પોતાની વેબસાઈટ પર મૂકવી પડશે. અરજદારોને દરેક તબક્કે માહિતી SMS કે ઈ-મેઈલથી આપવાની પણ જવાબદારી સંબંધિત સત્તાધિકારીઓ પર મુકવામાં આવી છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નવી સૂચનાઓનો ઉદ્દેશ જનતાને હકની માહિતી સરળ રીતે પ્રાપ્ત થાય અને RTI કાયદો સક્રિય રીતે અમલમાં રહે તે માટે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
