સાંતલપુરના અંતરિયાળ ગામોમાં રસ્તાઓની ભયાવહ હાલત:
ચારથી પાંચ ગામને જોડતો મુખ્ય માર્ગ જર્જરિત, સ્થાનિકો ભારે હાલાકીમાં
પરસુંદ-આતરનેસ માર્ગનો ખારી નદી વિસ્તાર ખસ્તાહાલ: બે કિ.મી. સુધી રોડ બેસી ગયો, ઘાસ ઉગવા લાગ્યું
સાંતલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં માર્ગવ્યવસ્થા દયનીય હાલતમાં પહોંચી છે.
પરસુદ ગામથી આતરનેસ તરફ જતા મુખ્ય રસ્તાના ખારી નદી વિસ્તારમાં લગભગ બે કિલોમીટરનો માર્ગ બેસી ગયો છે અને ત્યાં વાહનચાલકો માટે અત્યંત જોખમભર્યો બની ગયો છે.
રસ્તાની ઉપરથી કાંકરેટ ધોવાઈ ગયું છે, ઘણી જગ્યાએ ઊંડા ખાડાઓ છે અને ઘાસ પણ ઉગી ગયું છે.
પરિણામે, આસપાસના પરસુંદ, આતરનેસ, વાઘપુરા, અને નળિયા જેવા ચારથી પાંચ ગામના રહીશો રોજિંદા અવરજવર માટે હાલાકી ભોગવી રહ્યા છે.
વરસાદ સમયે માર્ગ બનશે વધુ ખતરનાક:-
ખારી નદીના પટમાં આવતો આ રસ્તો વધુ પડતા વરસાદમાં પૂરથી ઘેરાઈ જાય છે.
સ્થાનિકો જણાવે છે કે અહીંથી બનાસ નદી, રાજસ્થાનથી આવતું પાણી અને નર્મદાનું વેસ્ટેડ પાણી પસાર થાય છે,
જેને કારણે વરસાદી પાણી રોકાઈ જવાથી માર્ગ સંપૂર્ણ બંધ થવાની સંભાવના રહે છે.
રોડ ધોવાઈ જતા માર્ગ પર મસમોટા ખાડા ને લઇને અકસ્માતની શક્યતાઓ:-
રસ્તાની દયનીય હાલતને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.
ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને ખાડા દેખાતા નથી, અને પહેલેથી જ બેસી ગયેલા ભાગ ઉપરથી પસાર થવું વધુ જોખમકારક બની જાય છે.
તાત્કાલિક રસ્તા મરામત માટે ગ્રામજનોની માંગ:-
ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત કરાવવા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે.
જનજીવનને પ્રભાવિત કરતા આ ગંભીર પ્રશ્નની તંત્ર ગંભીરતાથી નોંધ લે તેવી લોકો માગ કરી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
