સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો જિલ્લાભરમાં પ્રારંભ
જળ સંપત્તિ, વન વિભાગ, નગરપાલિકા, નર્મદા વિભાગ, અને મનરેગા વિભાગના સંકલનમાં જિલ્લામાં ૨૩૧ કામો પ્રગતિ હેઠળ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી ‘કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે 2025 સુધી ચાલશે.
આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવશે. ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના કામો પણ વેગવંતા બનાવાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે.
પાટણ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ.પટેલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.કે મકવાણાના માર્ગદર્શન હેઠળ ‘કેચ ધ રેઈન -સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો જિલ્લાભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જળ સંપત્તિ, વન વિભાગ, નગરપાલિકા, નર્મદા વિભાગ, અને મનરેગા વિભાગના સંકલનમાં જિલ્લામાં ૨૩૧ કામો પ્રગતિ હેઠળ છે.
આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસિલ્ટિંગ, જળાશયો અને નદીઓનું ડીસિલ્ટિંગ, હેડ વર્ક તથા સંપ ની સફાઈ, કેનાલની સાફ સફાઈ, ગટરની સાફ સફાઈ, નુકસાન પામેલા ચેકડેમોની મરામત, નહેરો અને કાંસની જાળવણી કરાશે. વરસાદી પાણીનો સંગ્રહ, ખેત તલાવડી, માટીપાળા, વનતળાવ અને પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ જેવા કામો પણ હાથ ધરાશે.
જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇન – 2025નો ઉદ્દેશ જળ સંરક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને કામગીરીને વેગ આપવાનો છે, જે ‘ હર બુંદ અનમોલ ‘ (એવરી ડ્રોપ કાઉન્ટ્સ)નાં વિઝનને સાકાર કરવાનો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
