CCTV સજ્જ ભવનમાં 600 વિદ્યાર્થીઓ માટે નિવાસ, લાઈબ્રેરી અને ભોજનની વિશિષ્ટ સુવિધા
પાટણ શહેરમાં આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક દિનચર્યાનો આરંભ થયો છે.
અહીં શ્રી ચોરાડ વાગડ આહીર કેળવણી મંડળ, સાંતલપુરના સંચાલનમાં નિર્મિત ભવ્ય વિદ્યાર્થી ભવનનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ છાત્રાલયનું નિર્માણ રૂ.6 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે,
જેમાં સમગ્ર રાજ્યમાંથી આવતા આહીર સમાજના વિદ્યાર્થીઓને રહેવાની અને ભણવાની ઉત્તમ સુવિધા મળશે.
ચાર માળના આ આધુનિક ભવનમાં 60 રૂમ છે,
જેમાં લગભગ 500થી 600 વિદ્યાર્થીઓ રહી શકે છે. આહીર વિદ્યાર્થી ભવનમાં લાઈબ્રેરી, ભોજનાલય, ટીવી રૂમ અને 24×7 CCTV સુરક્ષા વ્યવસ્થા જેવી આધુનિક સવલતો ઉપલબ્ધ છે.
ભવનના નિર્માણ માટે સમાજના 200થી વધુ દાતાઓએ યોગદાન આપ્યું છે,
જેમાં રૂ.5100થી લઈને રૂ.51 લાખ સુધીના દાન મળ્યાં છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્ય દાતા તેમજ અન્ય દાતાઓનો સન્માન પ્રસંગ પણ યોજાયો હતો.
આ અવસરે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, વિવિધ સંતો-મહંતો તેમજ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસંગે પ્રવચન કરતાં જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે,
“આ ભવન માત્ર છાત્રાલય નથી, પરંતુ નવી પેઢીને ભવિષ્ય ઘડવાનો આધાર સ્તંભ છે. આહીર સમાજના ઈતિહાસ સાથે શૈક્ષણિક યાત્રાનો નવો પડાવ અહીંથી શરૂ થયો છે. આજે જ્યારે સમાજના બાળકો શિક્ષણથી સશક્ત બને છે, ત્યારે સમગ્ર સમાજનું ભવિષ્ય ઉજળું બને છે.”
આ ભવન દ્વારા માત્ર પાટણ જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખુલી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
