શહેરમાં નેશનલ હાઈવેની બાજુમાં આવેલી ખુલ્લી ગટરો લોકોને અને નિર્દોષ પશુઓને જીવલેણ સાબિત થઈ રહી છે.
શુક્રવારના રોજ રાધનપુરના હેપી મોલ નજીક એક ગાય ખુલ્લી ગટરમાં પડી જતા અફરા-તફરી મચી ગઈ હતી.
આજુબાજુના લોકોએ તરત ગૌભક્તોને જાણ કરી અને સુરભી ગૌશાળાના સેવકો સાથે મળીને ભારે મહેનત બાદ ગાયને જીવતજાગત બહાર કાઢી હતી.
આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની પૃષ્ઠભૂમિ:
આ પ્રથમ ઘટના નથી. થોડા જ દિવસ પહેલા વારાહીમાં પણ ખાડા વાળી હોટલની બાજુમાં એવી જ એક ખુલ્લી ગટરમાં ગાય પડી હતી.
છતાં અત્યાર સુધી ન તો નેશનલ હાઈવે વિભાગે પગલાં લીધાં છે કે ન તો કોઈ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે.
જનતા માંગે છે જવાબદારી:
નાગરિકો અને ગૌપ્રેમીઓનો આક્રોશ હવે ઉગ્ર બન્યો છે. લોકોનું કહેવું છે કે,
“અમારે રસ્તા જોઈએ, સુવિધા જોઈએ પણ જીવલેણ ખાડા નહિ!” તેઓ તાત્કાલિક તમામ ખુલ્લી ગટરો પર ઢાંકણાં મૂકવાની માંગ કરી રહ્યાં છે.
તસ્વીરમાં જોઈ શકાય છે કે કેટલી મોટી ખતરાની વચ્ચે માણસોએ પોતાના જીવનું જોખમ લઈને ગાયને બચાવવાનો પ્રયાસ કર્યો.
એ સાથે ગટર plastic, બોટલ અને કચરાથી ભરેલી જોવા મળે છે – જે તંત્રની બેદરકારીનો જીવંત પુરાવો છે.
એક તરફ ‘સ્વચ્છ ભારત અભિયાન’ ચાલી રહ્યું છે અને બીજી તરફ આવા જોખમભર્યા દ્રશ્યો નાગરિકોની સલામતી પર સવાલ ઉભા કરે છે.
સ્થાનિક તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની અવગણનાને કારણે નાગરિકો અને પશુઓ દિન-પ્રતિદિન જોખમમાં મૂકાઈ રહ્યાં છે.
હવે હાઇવે ઓથોરેટી શું રાહ જોઈ રહી છે? કોઈ મોટી દુર્ઘટનાની?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
