રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા માટે સતત પ્રયત્નશીલ છે :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા વિદ્યા સહાયક ભરતી ૨૦૨૫ અંતર્ગત આયોજિત નિયુક્તિ પત્ર વિતરણ સમારોહ કાણોદર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ધોરણ ૧ થી ૫ માટે પસંદ થયેલા કુલ ૪૯૦ વિદ્યા સહાયક શિક્ષક મિત્રોને નિયુક્તિ પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ નિમણૂક પામેલા શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બાળકોનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં છે. આજે છેવાડાના ગામડાના બાળકો સરકારી સેવાઓ સહિત અનેક ક્ષેત્રમાં આગળ વધ્યા છે, જેનો શ્રેય શિક્ષકોને જાય છે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે જ્યારે આપ સૌને શિક્ષક તરીકેની જવાબદારી મળી રહી છે ત્યારે મને ભરોસો છે કે આપ સૌ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બનાસકાંઠા જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા માટે મહત્વનું યોગદાન આપશો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ.પટેલે જણાવ્યું કે, આજે શિક્ષકોને નિયુક્તિ પત્ર આપતા બનાસકાંઠાના સરહદી તાલુકા વાવ, સુઈગામ, થરાદ, ધાનેરા, ભાભર અને દિયોદર તાલુકાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. આગામી સમયમાં ધોરણ ૬ થી ૮માં પણ શિક્ષકોની નિમણૂક કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા
